Vayam Bharat

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા અને સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ

ગુજરાત બોર્ડે આજે ગુરુવારે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. આ પરિણામમાં મોરબી જિલ્લાએ બાજી મારી છે. સૌથીવધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર કરાયું છે.

Advertisement

ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના બન્ને પ્રવાહોનું પરિણામ એક સાથે જાહેર કર્યું છે.

સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપનારા કુલ 3 લાખ 78 હજાર 268 વિદ્યાર્થીઓમાંથી 3 લાખ 47 હજાર 738 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપનારા કુલ 1 લાખ 30 હજાર 650 વિદ્યાર્થીઓમાંથી 98 હજાર 056 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું કુલ પરીણામ 82.45 ટકા છે.

રાજ્યમાં સામાન્ય પ્રવાહની પરીક્ષા 502 કેન્દ્રો પર અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 147 કેન્દ્રો પર લેવામાં આવી હતી. ઘણા વર્ષો સુધી ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જોવા મળતું વલણ કે જેમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓ વધુ સંખ્યામાં સફળ રહેતી હતી, તે વલણ આ વર્ષના પરિણામમાં બદલાયું છે. આ વર્ષે પાસ થવામાં વિદ્યાર્થિનીઓ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપનારાં 59,162 વિદ્યાર્થીઓમાંથી 48,827 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે કુલ 51,970 વિદ્યાર્થિનીઓમાંથી 42,798 વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે.

જોકે સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા કુલ 1 લાખ 87 હજાર 217 નિયમિત વિદ્યાર્થીઓમાંથી 1 લાખ 67 હજાર 471 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે 1 લાખ 91 હજાર 51 નિયમિત વિદ્યાર્થિનીઓમાંથી કુલ 1 લાખ 80 હજાર 267 વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે.

Advertisements